Showing posts with label હાસ્યલેખ. Show all posts
Showing posts with label હાસ્યલેખ. Show all posts

Tuesday, November 25, 2008

મારું લગ્નજીવન

રિદ્ધિ દેસાઈ

એક સવારે એને ગુલાબી ઊંઘમાંથી ઉઠાડવામાં આવી.
એય… ઊઠ… ચા મૂક…
શું છે ! હું ચા નથી પીતી….
બીજી સવાર –
એય… ઊઠ… ચા મૂક….
હું ચા નથી પીતી યાર !
મારી માટે તો મૂક….
ચામાં ખાંડની જગ્યાએ ચમચી ભરીને મીઠું નાખવામાં આવ્યું.
એ પછી એને ક્યારેય સવારે ઊઠાડવામાં ન આવી.

એક સુંદર લઘુકથાનો આભાસ આપતી ઉક્ત ઘટના એ કોઈ કથા-બથા નથી, સત્ય છે. કોના લગ્નજીવનનું, એ તમે સમજી ગયા હશો. પુરાણોમાં પણ સાઉથ ઈન્ડિયનને પરણવાના અનેક ફાયદાઓ વર્ણવાયા છે. પ્રજા મહેનતકશ છે. એય એટલે સુધી કે એને ફીફાં ખાંડવા આપો તોય પૂરી મહેનત અને લગનથી ખાંડે ! મેનન (મારા પતિ) રોટલી એમના મોઢા જેવી (કાળમીંઢ અને ઘાટ વગરની) બનાવે. પણ ઈડલી-ઢોસા-સાંભારમાં કોઈ એમનો હાથ પકડી શકે નહીં. (હાથ પકડે તો એ બનાવે શી રીતે ?) આઠ-દસ બહેનપણીઓને જમવા બોલાવી હોય તો સમાજમાં ઈજ્જત વધે. ઈજ્જત જ નહીં, મારે તો શાંતિય જબ્બર વધી છે, કેમ કે જીવનમાં ‘સાસુ’ નામનું પાત્ર જ નથી ! ‘નથી’ એટલે મારી સાસુ અલ્લાહને પ્યારી થઈ ગઈ છે એવું નથી. (એ તો હજી મારા સસરાનેય પ્યારી થઈ શકી નથી) અમે પતિ-પત્ની વિદેશમાં વસ્યાં છીએ અને એ જમીન-સંપત્તિની દેખરેખ માટે ભારતમાં જ રહ્યાં છે. કહેનારે ખરું કહ્યું છે – ધન-દોલત માણસને પોતાના માણસથી અળગા કરી નાખે છે…. હાશ !

લગ્નજીવનની શરૂઆતમાં તમે નોંધ્યું હશે કે દરેક પતિ કલ્પવૃક્ષ જેવો હોય છે. એ ઘરની ચાદરથી લઈને પ્રાણ સુધીનું બધું પાથરી દેવા તૈયાર હોય છે. પણ મારે મન ચાદર કરતાં દેશ વધુ મહત્વનો એટલે લગ્નની પ્રથમ રાત્રિએ જ મેં દેશપ્રેમનો ઝંડો ફરકાવેલો – ‘જુઓ, આજની ભયંકર પરિસ્થિતિ જોતાં દેશની વસતિમાં વધારો કરવો એ દેશદ્રોહ જ ગણાય ! યુનો, અમારા વાઈબ્રન્ટ ગુજરાતમાં એક નારો અત્યંત બુલંદ થયો છે – નહીં બાળ, જયગોપાળ !’
‘એટલે ?’
‘એટલે કે જે બાળ-બચ્ચાંની માયામાં પડતો નથી એનો સ્વયં ગોપાળકૃષ્ણ જયજયકાર કરે છે…. એવા મનુષ્યો શ્રીકૃષ્ણને બહુ પ્રિય છે….’ પણ ભેંસ આગળ ભગતસિંહ, કે મારાથી ઈમ્પ્રેસ થવાને બદલે એ ખડખડાટ હસવા માંડેલા. આ તો ઓશીકું અને ચાદર લઈને મેં ચાલતી પકડેલી, એમાં એ દ્રવી ગયેલા – ‘ઓ.કે. તું કહીશ એમ જ થશે, બસ !’

પ્રેમલગ્નની આ જ નિરાંત છે. એકબીજા સમક્ષ ખૂલીને વ્યક્ત થઈ શકાય છે. પણ લગ્નજીવનમાં જેમ જેમ અમે વધારે ખૂલતાં ગયાં એમ એમ સમજાતું ગયું કે દેહરચના ઉપરાંત અમારા વિચારો, સ્વભાવ, ટેવ, ટેસ્ટ, શોખ-બોખ બધું જ સાલું અલગ છે ! (આ નભ ઝૂકયું તે કાનજી ને પાતાળલોક તે રાધા રે !) કોઈ પણ નોર્મલ માણસ હોય તો એ પથારી અથવા છત્રપલંગ પર સૂએ. વધુ સુખ જોઈતું હોય તો પલંગ પર મખમલની ચાદરબાદર બિછાવે. પણ મારા એમને તદ્દન લીચડ અને મુફલિસ જેવો – અર્થાત લીલા ઘાસ પર સૂવાનો શોખ ! નવરા પડે એટલે એ તો ભોંયભેગા થાય, ને મનેય હેરાન કરે – ‘ચાલને, ઘાસ પર સૂતાં સૂતાં વાદળોને જોઈએ !’ એટલે મારી સણકે. ‘કેમ ? વાદળમાં ઉમરાવજાનનો મુજરો ચાલે છે ? અમારે ત્યાં તો લુખ્ખાઓ જ ઘાસ પર સુએ. બપોરે બગીચામાં ડોકિયું કરો તો ઠેર ઠેર જોવા મળે !’ એમની ટેવો જ સાવ જુદા પ્રકારની.

લગ્નને વરસ પણ વીત્યું નહોતું ને એ ગલત દોસ્તોની સોબતમાં શાસ્ત્રીય સંગીતના રવાડે ચડી ગયેલા. કોઈ ગમે એટલો દંભ કરે પણ એ હકીકત છે કે શાસ્ત્રીય સંગીત દસ મિનિટથી વધારે સાંભળી શકાતું નથી. માથું ભમી જાય છે ! એમાં અમારે ત્યાં તો સવાર સવારમાં ભીમસેન (જોશી)ની ગદાના પ્રહારો શરૂ થઈ જતા (ગદા=સંગીત). એમની પાછળ સુબ્બુલક્ષ્મી અને પરવીનબેન સુલતાના કછોટો વાળીને તૈયાર ઊભાં હોય ! એ પછી વીણાવાદનનો મૂઢમાર શરૂ થઈ જાય ! મા શારદાના સોગન, મહામુસીબતે એમને આ બૂરી લતમાંથી ઉગારેલા.

ટૂંકમાં કહું તો એમનામાં સજ્જન માણસોનું એકપણ લક્ષણ નહીં, એટલે અમારે તો સવારના પહોરથી જ ટંટા શરૂ થઈ જતા. એક તો લાટસાહેબને રોજ નાહવા જોઈએ. એટલું ઓછું હોય એમ નાહીને એ સૂર્યની સામે લોટો ભરીને પાણી ઢોળી દે. મારાથી એ બરદાશ થાય નહીં એટલે હું એમને ટોકતી : ‘ડુ યુ નો ? ગાંધીજી ફક્ત ત્રણ લોટા પાણી વડે નાહતા…’ ‘છી ! એમાં જ અંગ્રેજો ભારત છોડી ભાગી ગયેલા ?’ કોઈ ગાંધીબાપુની મશ્કરી કરે પછી હું ગુજરાતણ એને છોડું ? ઘરમાં ધમાધમી મચી જતી. ઘરેલું અસ્ત્ર-શસ્ત્રના પ્રહારો શરૂ થઈ જતા ! પરંતુ અહીં પણ એમની ધીટતા છાપરે ચડીને પોકારતી. કઠોર પરિશ્રમ કરીને હું રેડિયો, ટેપરેકોર્ડર, ખુરશી, ટેબલ, દળદાર પુસ્તકો વગેરેનો પ્રહાર કરતી અને સામે પક્ષે એ પેન, પેન્સિલ, રબર કે સિગારેટનું ખોખું જ મારતા ! કામચોરીની બી કોઈ હદ હોય કે નહીં ? શીટ્ !

આમ અમારા વિચારોમાં સખત અને સતત મતભેદ. છતાંય એક નિયમ અમે જીવનભર પાડ્યો છે. ભાણે જમવા બેસીએ એટલે બધા ડિફરન્સો ભૂલી જવાના. અલબત્ત, અમારા બંનેના ભોજનનો પ્રકાર અલગ. મારા ‘એ’ ઘાસ-ફૂસ ખાનારા, જ્યારે મને તો પકવાનો વગર ન ચાલે. છતાં ભોજન આરોગતા હોઈએ ત્યારે મા અન્નપૂર્ણાને સન્મુખ રાખીને અમે એકબીજાને પૂરો સાથ-સહકાર આપીએ.

સંસાર તો પંખીનો માળો છે ભૈ. બે વાસણ ભેગાં થાય તો ખખડે-ટિચાય-ગોબાય-પતરુંબતરું ફાટીય જાય. પણ એનો મતલબ એ નથી કે અમારી વચ્ચે પ્રેમ નથી. તપેલીમાં તપેલી અને પ્યાલામાં પ્યાલો ગોઠવાયો હોય એમ અમે એકબીજામાં હળીમળી જઈએ છીએ; સમાઈ જઈએ છીએ. અમને જોઈને કોઈને કલ્પનાય ના આવે કે હજી અડધા કલાક પહેલાં જ મેં એમને ‘લોકસંસ્કૃતિમાં પશુઓ’ ગ્રંથ છૂટ્ટો માર્યો હશે….. બાય ધ વે, અમારે ઘેર રહી ચૂકેલા ઘણા મહેમાનોએ અમને પૂછ્યું છે : ‘આ લોકસંસ્કૃતિમાં પશુઓ એટલે….. (તમે બે ?)’

Source: ReadGujarati.com